20 ડિસેમ્બર, 2014

સૃષ્ટિનું સર્જન નહિ પણ પ્રક્ષેપણ થયું છે? (રેડ રોઝ)

સૃષ્ટિનું સર્જન નહિ પણ પ્રક્ષેપણ થયું છે? (રેડ રોઝ)

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ


આખરે આપણે આ દુનિયા પર કેમ છીએ? બ્રહ્માંડની ઉત્તમ ઉત્પત્તિ કેમ થઈ? બ્રહ્મા કોણ છે? વિષ્ણુ કોણ છે? મહેશ કોણ છે? માનવી કોણ છે? - જેવા અનેક પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરતી એક નવી જ થિયરી બહાર આવી રહી છે. આ નવીનતમ સંશોધન અનુસાર બ્રહ્માંડનું સર્જન એ સર્જન નથી, પરંતુ અભિવ્યક્તિ સાથેનો પ્રક્ષેપ છે.
ગુજરાતના જ એક સંશોધક ડો. કૌશિક ચૌધરીએ રજૂ કરેલી આ થિયરી પર આધારિત એક ગ્રંથમાં આધુનિક વિજ્ઞાાનના એ પડકારજનક સ્વપ્નને સાકાર કરવા કોશિશ કરવામાં આવી છે. આ પુસ્તક એ આપણા ઉપનિષદોના જ વિજ્ઞાાનનો અંશ છે, જે એકસાથે વિશ્વના ૧૫૦ દેશોમાં પ્રસ્તુત થશે. ઉપનિષદોમાં આપેલા એ જ્ઞાાનને આજના વિજ્ઞાાનની ભાષામાં સમજાવવાના પ્રયાસ રૂપે બહાર આવી રહેલ સંશોધન પુસ્તકઃ “It's not a creation...it's a projection through expression”માં રજૂ થયેલી થિયરીમાં કહેવામાં આવ્યું છે કે,ઉપનિષદ દ્વારા જ બ્રહ્માંડને સમજી શકાય તેમ છે. આજના વિજ્ઞાાને સૃષ્ટિના સત્યને અનેક વિજ્ઞાાનો અને શાખાઓમાં ખંડિત કરી નાખ્યું છે. આ શાખાઓ બીજી શાખાઓ શું કહે છે તે તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે. જેની જરૂર છે તે છે 'યુનિફાઇડ સાયન્સની.' સ્ટીફન હોકિંગના કહેવા મુજબ, "જો આ બ્રહ્માંડ મૂળભૂત રીતે કોઈ એક જ ઉદ્દેશ્ય પાછળ ચાલતું હશે તો સમજી લો આપણા આ ખંડિત વિજ્ઞાાનોમાંનું કોઈ એના લક્ષ્ય સુધી પહોંચવાનું નથી. આથી આપણને જરૂર છે એક એવા વિજ્ઞાાનની જે આ બધા વિજ્ઞાાનોને પોતાની અંદર સમાવી લઈ આ બ્રહ્માંડમાં અત્યાર સુધી બનેલી દરેક ઘટનાને કોઈ એક જ મૂળભૂત હેતુ માટે બની હોવાનું સાબિત કરે." અને આ પુસ્તક એ જ unified science અને એ જ મૂળભૂત ઉદ્દેશ્યને છતું કરે છે એની પૂરેપૂરી વૈજ્ઞાાનિક સાબિતી સાથે. આનંદની વાત એ છે કે આ unified science એ આપણા ઉપનિષદોના જ વિજ્ઞાાનનો એક બહુ મોટો અંશ છે.
ડો. કૌશિક ચૌધરી દ્વારા સંશોધિત આ થિયરીનું અર્થઘટન કરતાં તેઓ કહે છે કે આ આખું બ્રહ્માંડ શક્તિના એક નાના પુંજ સ્વરૂપે હતું અને અચાનક કોઈ એક કારણથી એ બિંદુ સ્વરૂપ અસીમિત શક્તિનો પિંડ વિસ્ફોટ રૂપે ફૂટયો અને એમાંથી ક્રમિક ફેરફારો દ્વારા આજનું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. આધુનિક વિજ્ઞાાને આ વિસ્ફોટને બિગ બેંગ નામ આપ્યું, પરંતુ હજુ સુધી એ નથી જાણી નથી શકાયું કે આ વિસ્ફોટ શાના કારણે થયો. તો આપણે આ થિયરીની શરૂઆત ત્યાંથી જ કરીએ. આ અસ્તિત્વને સર્જન કહેવું વૈજ્ઞાાનિક રીતે વાજબી નથી, કારણ કે સર્જન શબ્દ સાથે જ 'શૂન્યમાંથી બધું ઊભું થયાનો એ મૂર્ખ ખ્યાલ' ઊભો થાય છે. પહેલાં કઈ નહોતું અને અચાનક બધું ઊભું કરવામાં આવ્યું. કદાચ ભગવાન દ્વારા પણ. ભગવાનને પણ કંઈક બનાવવા માટે કાચા માલ તરીકે કંઈકની તો જરૂર પડે જ. આમ આ બ્રહ્માંડના અસ્તિત્વ પહેલાં પણ અહીં કંઈક હતું જેમાંથી આ બ્રહ્માંડ બહાર આવ્યું અને અસ્તિત્વમાં આવ્યા પછી પણ એ ક્રમિક રીતે બદલાતું જ રહે છે અને શક્તિના નવા સ્વરૂપો ઘડયા જ કરે છે. આમ, સર્જન દરેક ક્ષણે ચાલુ છે જે આ બ્રહ્માંડને ક્રમિક રીતે એક પછી એક થતા ફેરફારો દ્વારા કોઈક લક્ષ્ય સુધી પહોંચાડવા માગે છે. આ ક્રમિક ફેરફારો દ્વારા થતી યાત્રાને જ કહે છે 'પ્રક્ષેપ (Projection)’. પ્રક્ષેપ મતલબ એક સ્થિતિથી બીજી (પછીની) સ્થિતિ સુધી પહોંચવું. આ માટે ઉપનિષદોમાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે 'સૃષ્ટિ'. હા. એ જ સૃષ્ટિ જેને આપણે દુનિયા, બ્રહ્માંડ કે અસ્તિત્વ માટે વાપરીએ છીએ. એનો સંસ્કૃતમાં ખરો અર્થ થાય છે, પ્રક્ષેપ. આજનું આખું બ્રહ્માંડ એક સમયે પેલા બિંદુવત્ પિંડ સ્વરૂપે હતું, તો હવે આપણે કહી શકીએ કે આજે આ બ્રહ્માંડમાં જે પણ સિદ્ધાંતો હયાત છે તે એ પિંડમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા અને એના પરથી આ પ્રક્ષેપની થિયરીના બે મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે.
(૧) આ બ્રહ્મમાં કોઈ પણ ઘટના કે પ્રક્રિયા અસંતુલનથી સંતુલન તરફ ગતિ કરે છે. મતલબ એક સંતુલન ધરાવતી સિસ્ટમમાં જો તમે વિક્ષોભ દ્વારા અસંતુલન પેદા કરો તો બીજી જ ક્ષણેથી એ સિસ્ટમમાં જે પણ ઘટનાઓ બનશે તે એ પહેલાંનું સંતુલન પાછું મેળવવાની કોશિશ હશે. જો શક્તિના એ પિંડ સ્વરૂપને આપણે એક સંતુલિત સિસ્ટમ માનીએ તો કહી શકાય કે બિગ બેંગના ધડાકાને લીધે એ સિસ્ટમમાં અસંતુલન ઊભુ થયું અને આપણું બ્રહ્માંડ એ અસંતુલનની ઉપજ છે. તો બિગ બેંગથી લઈને આજ સુધી આ બ્રહ્માંડમાં જે પણ ઘટનાઓ બની અને બની રહી છે તે ફક્ત એટલા માટે છે કે જેથી આ બ્રહ્માંડની શક્તિ ફરીથી એક થઈને એ પિંડ સ્વરૂપે બની શકે. આજ સુધી આ બ્રહ્માંડે જે પણ સર્જનો કર્યાં, અણુ, પરમાણુથી લઈને સંયોજનો સુધી અને એક કોષી સજીવોથી લઈને મનુષ્યો સુધી. એ બધાં સર્જન પેલા અનન્ય પિંડ સ્વરૂપને પાછું મેળવવાના પ્રયાસ રૂપે હતાં. આ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થનું એકમાત્ર લક્ષ્ય એ જ છે જે આ આખા બ્રહ્માંડની શક્તિનું લક્ષ્ય છે અને એ છે આજુબાજુ અનેક સ્વરૂપો અને આકારોમાં ફેલાયેલી આ શક્તિને એકત્ર કરી ફરી પિંડ સ્વરૂપ બિંદુ બની જવું. આ અવસ્થાને વિજ્ઞાાન singularity કહે છે અને વેદો એને 'ચતુર્મુખ બ્રહ્મા' કહે છે અને એ જ મોક્ષની સ્થિતિ છે. હવે, વાત આવે છે અભિવ્યક્તિની.
આપણે કહ્યું કે આ બ્રહ્માંડ અસંતુલનની ઉપજ છે, પણ આ અસંતુલન છે શાનું? એ છે અભિવ્યક્તિનું. પિંડ સ્વરૂપ આ બ્રહ્મની શક્તિનું મુખ્ય સ્વરૂપ છે. એ સ્વરૂપ, જ્યાં તે એ અનન્ય શક્તિનો પુંજ જ અસ્તિત્વ ધરાવે છે, બીજું કંઈ નથી અને કારણ કે બીજંુ કંઈ નથી એટલે અભિવ્યક્તિની જરૂર પણ નથી. પણ જ્યારે એ પિંડ વિસ્ફોટ રૂપે ફાટીને નાના ટુકડાઓમાં વિભાજિત થયો ત્યારે આ શક્તિનું મૂળ સ્વરૂપ પણ અનેક ટુકડાઓમાં વિભાજિત થયું જે આજે ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, વૃક્ષો, કીટકો, પ્રાણીઓ અને મનુષ્યો જેવા અનેક સ્વરૂપે ગોઠવાયેલું છે. આ બધાં સ્વરૂપો એકબીજા વિના અધૂરાં છે અને એટલે જ ઉત્પન્ન થાય છે તેમની એકબીજા પ્રત્યેની અભિવ્યક્તિ. આ અભિવ્યક્તિની યાત્રાને વેદોમાં તમસ, રજસ અને સત્ત્વ એમ ત્રણ ગુણોમાં વહેંચવામાં આવી છે. સંન્યાસીની અને જ્ઞાાનીની અભિવ્યક્તિ સત્ત્વ ગુણમાં આવે છે, પરંતુ જ્યારે મનુષ્ય સત્ત્વ ગુણને પણ પાર કરી જાય છે ત્યારે તે અભિવ્યક્તિની એ છેલ્લી ઊંચાઈ પાર કરી શૂન્યતા તરફ પ્રયાણ કરે છે અને અહીંથી તેની શક્તિની અભિવ્યક્તિ ઘટતી જાય છે. એક સમયે એ અભિવ્યક્તિનો અંત આવે છે જે આપણા વ્યક્તિગત અસંતુલનનો પણ અંત છે. અભિવ્યક્તિ અને અસંતુલનના આ અંતને જ મોક્ષ કહેવામાં આવ્યો છે, તેથી જ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે હું ગુણાતીત છું, આ ત્રણેય ગુણોથી ઉપર.
(૨) બીજા સિદ્ધાંત રૂપે આપણે જાણીએ છીએ કે આ બ્રહ્માંડ શક્તિના બે સ્વભાવમાં વહેંચાયેલું છે, એક પુરુષ અને બીજી સ્ત્રી. વિજ્ઞાાન એને ધન કે positive (પુરુષ)અને ઋણ કે negative (સ્ત્રી) વીજભારો તરીકે દર્શાવે છે કે જ્યારે વેદોમાં એને શિવ અને શક્તિ નામ આપવામાં આવ્યું છે. વેદોના સમયમાં પ્રકૃતિના આ બે તત્ત્વોની ઉપાસના થતી જ્યાં શિવના પ્રતીક રૂપે લિંગ અને સ્ત્રીના પ્રતિક રૂપે યોનીને પૂજવામાં આવતાં. લિંગ ર્બિહગામી સ્વભાવ ધરાવે છે જે પોતાની શક્તિને પોતાના કેન્દ્રથી બહારની તરફ ધકેલે છે જ્યારે યોની અંતર્ગામી સ્વભાવ ધરાવે છે જે પોતાની શક્તિને પુરુષ સ્વભાવને પોતાની અંદર ખેંચી લેવા માટે વાપરે છે. એ એક suction બળની જેમ કામ કરે છે.
 આ કારણે જ્યારે પુરુષ અને સ્ત્રી સ્વભાવ એકબીજાની સામે આવે છે ત્યારે એકબીજાને આકર્ષી એકરૂપ થવા લાગે છે. જેમાં પુરુષ સ્ત્રીના ખાલી અવકાશને ભરે છે (b)અને જેમ જેમ તે બંને પોતાના સ્વભાવ ગુમાવતા જાય છે તેમ તેમ તેમની એકરૂપ થયેલી શક્તિ વધતી જાય છે અને એક સમયે એકરૂપ થયેલી શક્તિનો એ પિંડ (c)અસહ્ય ઊર્જાથી પોતાનું સંતુલન ગુમાવે છે અને વિસ્ફોટ રૂપે પોતાની ઊર્જાને વિખેરી નાખે છે. આ સમયે ફરીથી શક્તિના પેલા બે સ્વભાવો છૂટા પડે છે. આમ, આ ચક્ર ચાલુ રહે છે.
આ વિસ્ફોટ થયા પછી વિસ્ફોટ થયા પહેલાંની એકરૂપ શક્તિ અચાનક જ નાના ટુકડાઓમાં વહેંચાઈ નહીં. એ ઊર્જા એ હદે એકરૂપ હતી કે એ એક પછી એક એમ શક્તિના ત્રણ ક્રમિક ગોઠવણોમાંથી(stageમાંથી) પસાર થઈ જેમાં દરેક નવી ગોઠવણ વખતે શક્તિ પહેલાં કરતાં વધારે ખંડિત થયેલી હતી. આ શક્તિના ત્રણ stage એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અથવા શિવ. પ્રથમ stage શિવનું આવ્યું જેમાં શક્તિ બે પરિમાણોમાં વિભાજિત થઈ, પરંતુ બિગ બેંગના ધડાકાનો ધક્કો એટલો જોરદાર હતો કે એણે આ ક્ષણિક શિવ stageને તોડીને શક્તિનાં સાત પરિમાણોમાં વહેંચી નાખી. આ સાત પરિમાણોનું stage એટલે વિષ્ણનું stage, પરંતુ ધડાકાના ધક્કાએ વિષ્ણુ stageને પણ એ હદે ખંડિત કરી નાખ્યું કે એમાંથી ફક્ત ત્રણ જ પરિમાણો બની શક્યાં અને બાકીનાં પરિમાણો એ અસંખ્ય નાના કણોની શક્તિમાં વહી ગયાં. આ ત્રિપરિમાણીય stage એટલે બ્રહ્માનું stage. (જે વિષ્ણુની નાભિમાંથી ઉત્પન્ન થયા એવું કહેવાયુ છે)અને આ સાથે જ બ્રહ્માંડનું અસીમિત વિસ્તરણ શરૂ થઈ ગયું જે આજ દિન સુધી ચાલુ છે. આમ, આ વિસ્તરણે બ્રહ્માંડની ફરી પાછા બિંબરૂપ બની જવાની કોશિશને કરોડો વર્ષોની મહેનતમાં ફેરવી દીધી અને તે દિવસથી આજ સુધી આ બ્રહ્માંડ એક ફુગ્ગાની માફક વિસ્તરી રહ્યું છે. આ વિસ્તરણને અટકાવવું અને સંકોચન શરૂ કરવું એ જ બ્રહ્માંડની શક્તિનું એકમાત્ર ધ્યેય છે. એ ધ્યેયને પૂરું કરવા જ એણે નાના કણોને જોડી અણુ બનાવ્યા, અણુને જોડીને પરમાણુ બનાવ્યા, પરમાણુને જોડીને એમિનો એસિડ જેવાં સંયોજન બનાવ્યાં, જેમણે ઊર્જાની અંદરોઅંદરની આપ-લેને નવી ઊંચાઈએ પહોંચાડી, જેને આપણે જીવન કહીએ છીએ. આમ, એણે એ અસંખ્ય કણોમાં વહી ગયેલી શક્તિને ફરીથી એકત્ર કરી અંતે મનુષ્ય બનાવ્યો. તમે જાણો છો આ મનુષ્ય શું છે? બીજા stageનું બ્રહ્માંડ જેને આપણે વિષ્ણુનું stage કહીએ છીએ. વિષ્ણુના stageના એ સાત પરિમાણો મનુષ્ય શરીરનાં સાત ચક્રો છે. એટલે જ તો કહેવાય છે 'નર એ જ નારાયણ'. આ નારાયણ stageમાંથી ક્રમિક આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કરી મનુષ્ય પહોંચે છે શિવના stageમાં અને આ દરેક મનુષ્યનો એ છેલ્લો પડાવ છે જ્યાંથી એ સીધો પેલા તટસ્થ શક્તિના બિંદુવત્ પિંડ સ્વરૂપ(singularity)ને ધારણ કરે છે અને એેને જ મોક્ષ કહે છે. મનુષ્યોની આ મોક્ષની સ્થિતિ આ બ્રહ્માંડના વિસ્તરણને અટકાવવામાં બ્લેક હોલ કરતાં પણ વધુ અસરકારક છે.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો